એની નાભિમાંથી ના મળી કસ્તૂરી.
એની ત્વચાને ઘણી તપાવી,
પણ એકેય સુવર્ણ વરખ ન મળ્યો.
અરે! કેવળ ચામડાની બનેલી હતી એની ચામડી!
એના મસ મોટા જઠરમાંથી
ના મળ્યો સાચા મોતીનો ચારો.
એના શ્રેષ્ઠ મસ્તિષ્કમાંથી
ના મળ્યું પુરાણનું એક પાનું ય.
એના કોહી ગયેલા કાળજામાંથી
ના મળ્યું સૂર્યવંશી શૂરાતન.
એના પોઇઝન થઈ ગયેલા હૃદય રસમાંથી
ના મળ્યું એના પુણ્ય એ કમાયેલું અમૃત!
એના અણુ એ અણુ જેટલા ટુકડા કરી જોયા
પણ એની છઠ્ઠી ઇન્દ્રિય ના મળી તે ના મળી.
હા, એના વિશાળ હૃદયમાંથી
મળી આવ્યું વરૂનું રૂપકડું હૃદય.
એની અંગુલિઓને છેડેથી
મળી આવ્યા નહોરનાં મૂળ.
એના સ્ફટિક જેવા ચોકઠાં હેઠળથી
મળી આવ્યા ત્રિશૂળીયા દાંત,
એની આંખો
મગરનાં આંસુથી આંજેલી હતી.
એની રૂઢિચુસ્ત રક્તવાહિનીઓમાં
થીજી ગયો હતો લીલોછમ આલ્કોહોલ.
એ એક આર્યપુરુષના મમીનું
પોસ્ટમોર્ટમ હતું.
નોંધ: આજે પોસ્ટ કરેલ વિશ્વકવિતા 'મરણોત્તર શબપરિક્ષણ' નોબેલ પ્રાઈઝ મળ્યું છે એવા ગ્રીક કવિ ઓડિશયસ એલિટીસની રચના આ સાથે વાંચો. એક વિશ્વકવિતામાંથી પ્રેરણા પામી દલિત કવિ પોતીકી રીતે કેવી વાત કરી શકે છે એનું નીરવભાઈની કવિતા ઉત્તમ ઉદાહરણ છે.
ખાસ નવોદિત કવિઓએ વિશ્વકવિતા અને ભારતીય દલિત કવિતા વાંચવી એવો આગ્રહ છે.
No comments:
Post a Comment