Friday, April 14, 2023

બાબાસાહેબ દેવ થઈ ગયા

એ સવાર હશે 6ઠી ડિસેમ્બર1956 પછીના કોઈ દિવસની.
મારી એકડિયા નિશાળની સામેના ચોરે
અમારા ગોળના ગોવિંદ બારોટ
કરુણ રૂદનવાળું મરશિયું ગાતા હતા:
'ભીમરાવ સ્વર્ગે સિધાવિયા..'

એમના રાવણહથ્થાની ઘૂઘરીઓય ઝીણું ઝીણું રોતી હતી.
જરૂર એમના બાપા કે દાદા મરી ગયા હશે:
બિચારા કેવા અનાથ 
બની ગયા છે!

રિસેસમાં પાણી પીવા મહોલ્લે પહોંચ્યો
તો રાતપાળી કરીને આવેલ મોટાભાઈએ પોક મૂકી:
'બાબાસાહેબ દેવ થઈ ગયા..'

આજે 6ઠી ડિસેમ્બર1991.
ભીમવંદના થાયછે, ભીમભજનો ગવાય છે
ભીમગરબા ને ભીમરાસડા લેવાય છે
સારંગપુરની ભીમદેરીએ ભીમપારાયણ ચાલે છે:
કોઈ કમળ લઈને આવે છે,કોઈ ત્રિશૂળ લઈને આવે છે
કોઈ હાથીએ બેસીને આવે છે,કોઈ રથે ચડીને આવેછે
કોઈ ભૂરી ભીમધજાઓ ચઢાવે છે
તો કોઈ ભગવા ભીમનેજાઓ ધરાવે છે
લત્તે લત્તે ભીમભૂવાઓ ડાકલાં નગારાંઓ  વગાડે છે
ને નવલખાં નૈવેદ્ય ને નારિયેળ
પોતાના ઘર ભણી પધરાવે છે
કોઈ તાજા લોહી ભરેલા કળશ ને કુંભ
છેક બેલછી બિહારથી લાવે છે
ને ભીમધૂણામાં હોમે છે.

'ખરેખર બાબાસાહેબ દેવ થઈ ગયા, મોટાભાઈ?'

No comments:

Post a Comment