Friday, April 14, 2023

ઋચાને પત્ર

ઋચા, તારી નસેનસમાં વેદોનું લોહી વહે છે .
શ્રુતિ અને સ્મૃતિઓના સ્તનપાનથી બંધાયેલું છે તારું કલેવર.
તારે શિરે સોહે છે બ્રાહ્મણત્વની કલગી.
મારા બાપુની સાવરણીએ વાળેલા વાડામાં વીત્યું છે તારું શૈશવ.
ગૌરીવ્રતના કન્યાકાળે તેન જોયાં હતાં ગામ ગોંદરે અમારાં ઝૂંપડા
ત્યારે પ્રથમ વાર જન્મી હતી તારી બાલિશ આંખોમાં જુગુપ્સા.
ને તારા કૂતુંહલે વાંચ્યો હતો અમ ચમાર પ્રત્યેનો ધિક્કાર 
તારા વડીલોને ચહેરે.
ને ત્યારે તેં માનવીઓને અ,બ,ક,ડ વિભાગોમાં વહેન્ચાતેલા જોયા હતા.
ઋચા, હજીય તારી શેરીના કૂતરાના મોંમાં છે 
અણોજાનો સાદ પાડવા ગયેલ મારા બાપુની પોતડીનો ગાભો.
વાળુમાં આવે છે તારા ભાઈ ગૌરવના લાળીયા માંથી ભોંય પર પથરાયેલો ભાત.
હા,ઋચા, હું મજેથી ખાઉં છું ને જીવું છું 
અને એ જ તારા સહાધ્યાયીની સંજ્ઞા
પ્રથમવાર તારા કર્ણપટલે ઝીલી ત્યારે 
'જન્મના જાયતે શુદ્ર ,સંસ્કારાત દ્વિજ ઉચ્યતે '
એ શ્લોકનું ગુંજન થતું હતું .
મહાશાળાનાં વર્ષોમાં મનોવિજ્ઞાનની આંગળી પકડી 
તું પા..પા..ચાલે છે.
એટલો 'હું'તું સવિગત ઓળખે છે.

આજના દિક્ષાંત સમારંભમાં સુવર્ણ ચંદ્રકની આભાથી 
અંજાયેલી તું  Congratulations નો શિષ્ટાચાર પાઠવે છે.
અફસોસ !ઋચા કે હું પ્રણવ પંડિત નથી કે નથી ભાર્ગવ ત્રિવેદી!
હું છું 'ડ' વર્ગનો લલિત પરમાર.
ઋચા, મારે મન તું વેદની ઋચાથી વિશેષ છે,
મેઘદૂતની  પ્રણયપંક્તિ છે!
ઓમર ખૈયામની રૂબાઈત છે.

No comments:

Post a Comment